વાપીમાં ચાર ધામ યાત્રાના નામે રૂ.૪૦,૮૦૦ની છેતરપિંડી
- byDamanganga Times
- 07 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૬ ઃ વાપીમાં ફેસબુક પર ટૂર પેકેજ જોઈ ટ્રાન્સપોર્ટર સાથે ચાર ધામ યાત્રાના નામે રૂ. ૪૦,૮૦૦ની છેતરપિંડી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. હરિયાપાર્ક સમન્વય પાર્કમાં રહેતા અને ઍસ. રોડલાઈન્સ નામે ટ્રાન્સપોર્ટ ચલાવતા ઓમપ્રકાશ સૂર્યનારાયણ શુક્લાઍ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, ૧૮ માર્ચના રોજ પરિવાર અને મિત્ર વર્તુળ દ્વારા ચાર ધામ યાત્રા જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મોબાઈલમાં ચાર ધામના અલગ અલગ ટૂર ટ્રાવેલ્સના પેકેજ ઓનલાઈન જોતા ફેસબુક પર શીવ હોલીડે ઍન્ડ ઍડવેન્ચર નામની ટૂર કંપનીનું પેકેજ અંગેની જાહેરાત જોઈ તેમાં આપેલ નંબર પર સંપર્ક કર્યો હતો.
સામેવાળાઍ જણાવ્યું કે કુલ ટૂર પેકેજની કિં. રૂ. ૪૦,૮૦૦ થશે અને તેમાં કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને રસ્તામાં આવતા સાઈડ સીન સાથે હરિદ્વાર ફેરવવામાં આવશે. હોટલમાં રહેવા, નાસ્તો, બપોર-રાત્રીનું જમવાનું, મંદિર સુધી હેલિકોપ્ટર ટિકિટની સુવિધા મળશે. બુકિંગ માટે રૂપિયાની માંગણી કરતા ચાર વારમાં કુલ રૂ. ૪૦,૮૦૦ સામેવાળાના ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ ફોન સ્વીચ ઓફ થતા છેતરાયાની જાણ થઈ હતી. જે અંગે ૧૯૩૦ પર કોલ કરી ફરિયાદ કરાઈ છે.
