વાપીમાં ઇમરાનનગરથી ગાંધી સર્કલ સુધી રોડ પર કીચડથી લોકો પરેશાન
- byDamanganga Times
- 19 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વાપીના હજારો વાહન ચાલકો માટે આશાનું કિરણ સમાન વાપી-દમણ રોડ પર ૧૪૦ કરોડના ખર્ચે ૪ વર્ષ પહેલા જૂનો બ્રિજ તોડી નવા ઓવરબ્રિજનું કામ શરૂ કરાયું હતું. અનેક કારણોસર કામ ટલ્લે ચડ્યા બાદ છેલ્લા થોડા દિવસોથી કામે ફરી વેગ પકડ્યો છે. ઓવરબ્રિજનું કામ શરૂ થતા ઇમરાનનગરથી ગાંધી સર્કલ સુધીનો બંને તરફનો રોડ લાંબા સમયથી બંધ કરી દેવાયો હતો, જે હાલ વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ બ્રિજના પિલર ઉભા કરવાની કામગીરી દરમિયાન બંને તરફના રોડ સંપૂર્ણ ઉખડી ગયા છે. હાલ વરસાદને કારણે રોડ પર કીચડ અને મોટા ખાડાની ભરમાર જોવા મળી રહી છે. ખાડામાં પાણી ભરાઈ જતા અંદાજ આવતો નથી, જેના કારણે ખાસ કરીને નાના વાહન ચાલકોની હાલત અત્યંત કફોડી બની છે અને અકસ્માતનો ભય સતત રહે છે. આ માર્ગ પર તાત્કાલિક ધોરણે ખાડા પૂરીને જેસીબીથી સમતલ કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.
