ભીલાડ બાળ મિત્ર મંડળ દ્વારા ૨૩ વર્ષથી શ્રીજીનું સ્થાપન અકબંધ
- byDamanganga Times
- 18 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામપ, તા. ૧૭ ઃ ભીલાડ બાળ મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી સાર્વજનિક ગણેશ ઉત્સવની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે પણ મંડળ દ્વારા ભવ્ય ગણેશજીની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર, તા. ૧૨ના રોજ શ્રી ગણેશજીના ભવ્ય આગમન પ્રસંગે સમગ્ર ભીલાડ વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના નાદ અને ડીજેના તાલે ભક્તોઍ ગણપતિ બાપાના આગમનને વધાવ્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તથા ભક્તજનો ઉપસ્થિત રહી ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રી ગણેશજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગણેશજીના આગમન સાથે સમગ્ર ભીલાડ વિસ્તારમાં ભક્તિ અને ખુશીની લહેર પ્રસરી હતી. મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તોઍ ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ગણેશ ચતુર્થીના દિવસોમાં ગણપતિ બાપા પ્રત્યેની લાગણી, શ્રદ્ધા, પૂજા-અર્ચના અને નીતિ-નિયમોનું પાલન કરતા આ મંડળે છેલ્લા છ-સાત વર્ષમાં ગણેશ ઉત્સવને વિશાળ સ્વરૂપ આપ્યું છે. પરિણામે મંડળના પંડાલમાં સ્થાપિત થતા ગણપતિ બાપા આજે ‘ભીલાડ કે રાજા’ના ઉપનામથી પ્રખ્યાત થયા છે. આ વર્ષે પણ ‘ભીલાડ કે રાજા’ના ભવ્ય આગમન અને સ્વાગત પ્રસંગે બાળ મિત્ર મંડળના સભ્યોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ૨૩ વર્ષથી જાળવવામાં આવતી આ પરંપરા નવી પેઢી માટે પણ શ્રદ્ધા, સંસ્કાર અને ઍકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે.
