વિઘન્હર્તાના આગમન ટાંણે જ વાપી બજારમાં વિજળીનું વિઘન્
- byDamanganga Times
- 15 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ ગણેશોત્સવ જેવા તહેવાર ટાણે વાપીના મુખ્ય બજાર રોડ પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી સ્થાનિક વેપારીઓ અને ગણેશોત્સવ આયોજકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
રવિવારે રાત્રે મુખ્ય બજાર રોડની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા સમગ્ર વિસ્તારમાં આખી રાત અંધારપટ છવાયો હતો. જેના કારણે અહીંના રહીશો,ગણપતિ ઉત્સવની તૈયારી કરતા ભક્તો, ખરીદી કરવા આવેલા ગ્રાહકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંધારાને કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી પડી હતી. વેપારીઓનું કહેવું છે કે તહેવારની સિઝનમાં બજારમાં ભારે ભીડ રહે છે, ત્યારે લાઈટ બંધ હોવાથી ધંધા-રોજગાર પર પણ અસર પડે છે અને સુરક્ષાનો પણ પ્રશ્ન ઉભો થાય છે. ગણેશ મંડળોના આયોજકોઍ પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે.
મહાનગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરે તેવી સ્થાનિકો અને વેપારીઓઍ માંગ કરી છે.
