ખત્તલવાડા હાઈસ્કૂલમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 10 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૯ ઃ ખત્તલવાડા કેળવણી મંડળ સંચાલિત શાહ જે.જી. હાઈસ્કૂલ, ખત્તલવાડા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તથા મટકી ફોડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રીકૃષ્ણના પૂજનથી કરવામાં આવી હતી. શાળાના સંસ્કૃત શિક્ષક શિવમભાઈ જોશી દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજા કરાવવામાં આવી હતી. જેમાં ગાયત્રીબેન, દીપિકાબેન અને રામચંદ્ર ભાઈ તથા સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ ઍમાં જોડાયા હતા. આ કાર્યક્રમનો દોર વિશાલભાઈ ઍમ. તેરૈયા દ્વારા સંભાળ્યો હતો જેમાં શ્રીકૃષ્ણના જીવન અને તેમના મહિમા વિશે સુંદર પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌથી આકર્ષક ઍવા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને મટકી ફોડતી વખતે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નાદથી આખું મેદાન ગુંજી ઉઠ્યું હતું. જાણે ગોકુળ, મથુરા તથા વૃંદાવન જેવું ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
અંતે પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આમ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય મનોજકુમાર કે. પંચાલ તથા સુપરવાઇઝર ગાયત્રીબેન ઍમ. ટંકારીના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના સભ્યો તથા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓનાં સહયોગથી ઉત્સાહ ભક્તિ શ્રદ્ધા અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
