નારગોલમાં નિવૃત્ત ઍસ.ટી કંડકટરને મળેલું પૈસા ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કયું
- byDamanganga Times
- 08 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૭ ઃ નારગોલ ગામે ફરી ઍકવાર પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના નિવૃત્ત ઍસ.ટી કંડકટરને રસ્તા પરથી મળેલું રોકડ અને મહત્વના દસ્તાવેજો ભરેલું પાકીટ તેમણે સરપંચની હાજરીમાં મૂળ માલિકને પરત કરી માનવતાની મહેક ફેલાવી છે. બુધવારે મોડી સાંજે રોજની જેમ ચાલવા નીકળેલા નારગોલ નવાતળાવના રહેવાસી અને નિવૃત્ત ઍસ.ટી કંડકટર રમણભાઈ આહિરને નારગોલ કોસ્ટલ હાઈવે પર પ્રમુખ પેટ્રોલ પંપ પાસે, તુષારભાઈ ભંડારીના ઘરની સામે રસ્તા પરથી ઍક પાકીટ મળી આવ્યું હતું. ાકીટ ખોલતા અંદર ત્રણ ઍટીઍમ કાર્ડ, આધારકાર્ડ, ઓરીજનલ ડ્રાઈવિંગ લાયસન્સ, મોટરસાયકલની આર.સી બુક સહિત બે હજારથી વધુ રોકડ રકમ હતી. પાકીટમાં રહેલા દસ્તાવેજોના આધારે તે તડગામ ગામના સંદીપ ઈશ્વર પટેલનું હોવાનું જાણવા મળ્યું હતું.
માલિકનો સંપર્ક નંબર ન હોવાથી રમણભાઈ આહિરે તાત્કાલિક નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટી યતીન ભંડારીનો સંપર્ક કર્યો હતો.
સરપંચ સ્વીટી ભંડારીઍ સરોંડા ગામના સરપંચ રંજનાબેન સંદીપ રાઠોડનો સંપર્ક કરી સંદીપ પટેલ સુધી માહિતી પહોંચાડી હતી.
ત્યારબાદ નારગોલ સરપંચના નિવાસ સ્થાનોના કાર્યાલય ખાતે સરપંચ સ્વીટી ભંડારીની હાજરીમાં રમણભાઈ આહિરે સંદીપ પટેલને તેમનું પાકીટ સંપૂર્ણ સામાન સાથે પરત કર્યું હતું. પોતાનું કિંમતી પાકીટ પરત મળતા સંદીપ પટેલે રમણભાઈ અને સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સરપંચ સ્વીટી ભંડારીઍ રમણભાઈ આહિરના પ્રામાણિક કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે નારગોલ ગામમાં આવા પ્રામાણિકતાના કિસ્સાઓ અવારનવાર બને છે. થોડા દિવસ પહેલા જ ગામના ડો. નીરજ બારી ને રૂ. ૧.૫ લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર મળ્યું હતું, જે તેમણે મૂળ માલિકને પરત કર્યું હતું. ભૂતકાળમાં પણ અનેક વખત કિંમતી સામાન મળ્યા બાદ નારગોલના નાગરિકોઍ પરત કરી પ્રામાણિકતાની મિસાલ કાયમ કરી છે.
