વાપી ટાઉનમાં ભીલાડવાલા બેંકની નવી શાખાનું નાણાં મંત્રીના હસ્તે લોકાર્પણ
- byDamanganga Times
- 07 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૬ ઃ વાપી ટાઉનમાં ઍસબીપીપી બેંકની નવી શાખાનું રાજ્યના નાણા અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંકના પૂર્વ ચેરમેન, પૂર્વ ડિરેક્ટરો, જનરલ મેનેજર, શાખા મેનેજર હિતેશભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં સભાસદો અને ગ્રાહકો ઉપસ્થિત રહ્ના હતા.
વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન અને ૪૫ હજારથી વધુ સભાસદો ધરાવતી ઍસબીપીપી બેંકની સ્થાપના ૧ જાન્યુઆરી, ૧૯૩૦ના રોજ સરદાર ખાન બહાદુર વિકાજી ફિરોજશા બિલાડવાલા દ્વારા કરવામાં આવી હતી. બેંકની વલસાડ જિલ્લામાં વિવિધ શાખાઓ કાર્યરત છે.
વાપી મુખ્ય બજારના સરદાર ચોક ખાતે આવેલી બેંકની જૂની શાખાનું મકાન જર્જરિત બનતા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેથી બેંકના ચેરમેન અને ડિરેક્ટરો દ્વારા જૂના મકાનના રિનોવેશનના હેતુથી શાખાને વાપી દેસાઈવાડ જતા માર્ગ પર આવેલ પોસ્ટ ઓફિસ સામેના મહાવીર કોમ્પ્લેક્સ માં સ્થળાંતરિત કરવામાં આવી છે.
નવી શાખામાં ગ્રાહકોને વધુ સુવિધા મળી રહે તે માટે આધુનિક વ્યવસ્થાઓ સાથે ર્પાકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રસંગે શાખા મેનેજર હિતેશભાઈ દેસાઈઍ જણાવ્યું હતું કે વાપી ટાઉનની આ શાખામાં હાલમાં ૨૦ હજારથી વધુ ખાતેદારો અને ૫ હજારથી વધુ લોકર ગ્રાહકો છે. ગ્રાહકોને સુવિધાયુક્ત અને સરળ બેંકિંગ સેવા મળી રહે તે હેતુથી નવી જગ્યાઍ શાખા શરૂ કરવામાં આવી છે.
