માંડવા તડકેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઅો ઉમટયા
- byDamanganga Times
- 18 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા.૧૭ ઃ નાનાપોઢા તાલુકાના માંડવા ગામ નજીક નેશનલ હાઇવે પર આવેલું પૌરાણિક તડકેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો મંદિરે દર્શન, પૂજા અને અભિષેક માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં દિવસ દરમિયાન શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આદિવાસી સમાજમાં પણ ભગવાન શિવ પ્રત્યેની આસ્થા અને ભક્તિ પ્રાચીન સમયથી જોવા મળે છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોઍ શિવલિંગ પર જળ, દૂધ, બિલિપત્ર, ફૂલ, ચંદન સહિતની પૂજા સામગ્રી અર્પણ કરી ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા. ‘ૐ નમઃ શિવાય’ના જાપ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું. અનેક શ્રદ્ધાળુઓઍ શ્રાવણ સોમવારનું વ્રત રાખી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પારડી તાલુકાના મોટાવાઘછીપા અને નિમખલના ભક્તો દ્વારા મહાપ્રસાદની વ્યવસ્થા
શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે પારડી તાલુકાના શિવભક્તો દ્વારા તડકેશ્વર મહાદેવ મંદિરે મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. દર્શનાર્થે આવેલા ભક્તોઍ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સેવા અને ભક્તિના આ સંગમથી મંદિર પરિસરમાં ધાર્મિક વાતાવરણ સાથે સામાજિક ઍકતાની ભાવના પણ જોવા મળી હતી. હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. તેમાં પણ સોમવારનું ધાર્મિક મહત્વ વિશેષ છે. તડકેશ્વર મહાદેવ મંદિરે પ્રથમ સોમવારે ભક્તોની મોટી સંખ્યામાં અવરજવરથી સમગ્ર વિસ્તાર શિવમય બન્યો હતો. ભક્તોઍ ભગવાન શિવના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
