Damanganga Times.

Damanganga Times.

August 09, 2026

વાપીમાં પાણીની લાઈન લીકેજ થતાં સારો રોડ ખોદી નાંખવો પડયો

વાપીમાં પાણીની લાઈન લીકેજ થતાં સારો રોડ ખોદી નાંખવો પડયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ વાપી મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પણ ‘રોડ બનાવો પછી ખોદો’ની જૂની પરંપરા યથાવત રહી છે. વાપી ટાઉનમાં હનુમાન મંદિર સર્કલથી જનસેવા હોસ્પિટલ થઈ કચીગામ તરફ જતા લાખો રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલા રોડને માત્ર ઍક વર્ષમાં જ ખોદી નાખવામાં આવ્યો છે. ભૈરવધામ મંદિર સામે પાણીની મુખ્ય લાઇન લીકેજ થતાં તંત્ર દ્વારા આ ટનાટન રોડ તોડી પાણીની લાઇન રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ બનેલા આ રોડ પર હવે  પહેલાં જેવો સ્થાપિત ન કરાય તો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
સ્થાનિક લોકોની ફરિયાદ છે કે વર્ષોથી ચાલી આવતી આ પ્રથા મનપા બન્યા બાદ પણ બંધ થઈ નથી. પહેલા રોડ બનાવવામાં આવે અને પછી પાણી, ગટર કે અન્ય લાઇનના કામ માટે તેને તોડી નાખવામાં આવે છે. જેના કારણે સરકારના લાખો રૂપિયા પાણીમાં જાય છે અને લોકોને પણ અગવડ પડે છે.વાપી મહાનગર પાલિકાની પ્રથમ ચૂંટાયેલી બોડી સત્તા પર આવી છે ત્યારે લોકોનું માનવું છે કે હવે આ પ્રકારની બેદરકારી બંધ થવી જોઈઍ. રોડ બનાવતા પહેલા તમામ લાઇનના કામ પૂર્ણ કરીને જ રોડ બનાવવો જોઈઍ તેવી માંગ ઉઠી છે. આ અંગે તંત્ર દ્વારા હાલ લીકેજ રિપેરનું કામ પૂર્ણ કરી રોડ રિસ્ટોર કરવાની ખાતરી આપવામાં આવી છે.