વલસાડમાં કાશ્મીરનગરના પૂરગ્રસ્તો સાથે સહાયના નામે મજાક?
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા ૩ ઃ બે અઠવાડિયા અગાઉ વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ભયાનક રેલે ચારેય તરફ ભારે તારાજી સર્જી હતી. પૂરના પાણીમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા અનેક પરિવારના ઘર, કપડાં, વાસણ અને અનાજ સહિતની જીવનજરૂરી સામગ્રી તણાઈ ગઈ હતી. ઘરવિહોણા બનેલા આ લાચાર લોકોને નગરપાલિકા દ્વારા અલગ-અલગ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ, આ કુદરતી આફતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા પૂરગ્રસ્તો પર હવે વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો પહાડ તૂટી પડ્યો છે. સરકાર દ્વારા પૂરગ્રસ્ત અને બેઘર બનેલા પરિવારદીઠ રૂ. ૬,૮૦૦ ની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં જમા કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કાશ્મીર નગરના પૂરપીડિતોના બેંક ખાતામાં માત્ર રૂ. ૧,૮૦૦ જ જમા થતાં લોકોમાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. સર્વસ્વ ગુમાવી ચૂકેલા કાશ્મીર નગરના રહીશોનું કહેવું છે કે, આવી કપરી અને સંકટની સ્થિતિમાં પણ સરકાર અને વહીવટી તંત્ર તેમની સાથે ભેદભાવ કરી રહ્નાં છે. ઍક જ શહેરમાં અન્ય વિસ્તારોમાં નક્કી થયેલી પૂરી રકમ મળી રહી છે, ત્યારે કાશ્મીર નગરના ગરીબ અને આફતઝદા લોકો સાથે જ કેમ આવો અન્યાય કેમ? અમારા ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે, ખાવાના ફાંફા છે અને વહીવટી તંત્ર માત્ર ૧૮૦૦ રૂપિયા ફેંકીને અમારી મજાક ઉડાવી રહ્નાં છે. ભૂલ કે ભેદભાવ અન્ય વિસ્તારોમાં નક્કી કરાયેલી સહાય અને કાશ્મીરનગરમાં માત્ર ૧૮૦૦ રૂપિયા કેમ ક્યાં અટવાયા ૫૦૦૦ રૂપિયા? સરકારી ચોપડે બોલાતી સહાયની પૂરી રકમ પીડિતો સુધી કેમ ન પહોંચી ક્યારે મળશે ન્યાય આ કપરા સમયે લાચાર બનેલા લોકોને વહેલી તકે પૂરી રકમ ચૂકવવામાં આવશે કે પછી કાગળ પર જ રાહત અપાશે. હાલ તો રહેઠાણ ગુમાવી ચૂકેલા લોકો આ અડધીપડધી સહાય અને સરકારની બેવડી નીતિ સામે ભારે વિરોધ નોંધાવી રહ્ના છે. જો વહેલી તકે તેમને હકની પૂરી સહાય નહીં મળે તો આગામી દિવસોમાં પૂરપીડિતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
