ઔરંગાનો મુખ્ય રસ્તો ‘ડેન્જર ઝોન’ બન્યો
- byDamanganga Times
- 04 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ ગત ૨૩ જુલાઈના રોજ વલસાડ જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અને ઔરંગા નદીમાં આવેલા પૂરના પાણીના કારણે વલસાડને જોડતા ઔરંગા નદીના બ્રિજ પાસેનો મુખ્ય રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને રસ્તો ત્વરિત રીપેર કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. વિભાગની આ ઝડપી કામગીરીથી વાહનચાલકોને મોટી રાહત મળી છે, પરંતુ તેની સામે ઍક મોટું જોખમ હજુ પણ તોળાઈ રહ્નાં છે. ખેરગામથી વલસાડ તરફ આવતાં ઔરંગા નદીના બ્રિજની ડાબી બાજુનો મોટો હિસ્સો પૂરના પ્રચંડ પ્રવાહમાં ધોવાઈ ગયો છે. રસ્તાનો આ ભાગ સીધો નદીના ઊંડા પાણી તરફ જાય છે. જો રાત્રિના સમયે કે વરસાદી ધૂંધળા વાતાવરણમાં કોઈ વાહનચાલકની સહેજ પણ નજર ચૂકી જાય અથવા વળાંક પર વાહન પરથી કાબૂ ગુમાવાય, તો વાહન સીધું જ નદીમાં ખાબકે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. આટલું મોટું જોખમ હોવા છતાં, માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ધોવાઈ ગયેલા ભયજનક ભાગ પર હજુ સુધી કોઈ પણ પ્રકારના સાવચેતીના બોર્ડ, રેડિયમ પટ્ટી કે જોખમ દર્શાવતી દોરી કે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા નથી. સ્થાનિકો અને વાહનચાલકોનો આક્ષેપ છે કે તંત્ર કોઈ મોટા અકસ્માત કે જાનહાનિની રાહ જોઈ રહ્નાં હોય તેમ લાગી રહ્નાં છે. દરરોજ આ માર્ગ પરથી હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. રાત્રિના સમયે આ સ્થળ અકસ્માતની ઝપેટમાં આવી શકે તેમ હોય, માર્ગ-મકાન વિભાગ તાત્કાલિક ધોરણે આ ભયજનક જગ્યા પર ચેતવણી આપતા સાંકેતિક બોર્ડ, લાઈટ/રેડિયમ સ્ટીકર અને સુરક્ષા માટે દોરી કે મજબૂત બેરિકેડિંગ લગાવે તેવી લોકમાગણી ઉઠી છે.
