વલસાડ જિલ્લામાં કુલ ૭,૨૦૧ વિદ્યાર્થીઓને નવા પુસ્તકો અપાશે
- byDamanganga Times
- 29 July, 2026
વલસાડ, તા. ૨૮ ઃ છેલ્લા ચારથી પાંચ દિવસ દરમિયાન વલસાડ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારો તેમજ શાળાઓ અસરગ્રસ્ત બની છે. વલસાડ શહેરની અનેક શાળાઓમાં પૂરનું પાણી ઘૂસી જતાં શૈક્ષણિક કામગીરીને અસર પહોંચી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજેશ્રી ઍલ. ટંડેલે અસરગ્રસ્ત શાળાઓની સ્થળ મુલાકાત લઈ શાળાઅોમાં થયેલા નુકસાનની માહિતી મેળવી હતી. તથા તમામ શાળાઓમાં સેનિટાઈઝેશનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે આગ્રહ રાખ્યો હતો. અને જણાવ્યું હતું કે પૂરના કારણે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગને વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ ૨,૫૧૦ વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકોની જરૂરિયાત નોંધાઈ છે, જેમાં ધોરણ ૯ના – ૭૧૫ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૦ના – ૬૩૪ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૧ (સામાન્ય પ્રવાહ)ના – ૬૧૮ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૧ (વિજ્ઞાન પ્રવાહ)ના – ૬૦ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ)ના – ૪૩૦ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના – ૫૩ વિદ્યાર્થીઓનો નવા પુસ્તકો આપવામાં આવશે. આ ઉપરાંત પ્રાથમિક વિભાગના કુલ ૪,૬૯૧ વિદ્યાર્થીઓ માટે પણ નવા પાઠ્યપુસ્તકોની માંગણી કરવામાં આવી છે. આ રીતે જિલ્લાના કુલ ૭,૨૦૧ વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
