બીલીમોરા સોમનાથ મંદિર નજીક જૂનુ વૃક્ષ ધરાશાયી
- byDamanganga Times
- 16 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૫ ઃ બીલીમોરા સોમનાથ મંદિર પાછળ આવેલી શિવચરણ સોસાયટી નજીકના વોલીબોલ મેદાન પાસે આશરે ત્રણ દાયકા જૂનું આંબાનું વૃક્ષ ચોમાસાની ઋતુ દરમિયાન ફૂંકાયેલા પવનના કારણે ઍકાઍક ધરાશાયી થયું હતું. આ આંબાનું વૃક્ષ માત્ર ઍક વૃક્ષ નહોતું, પરંતુ અહીં રોજિંદા વોલીબોલ રમતા યુવાનો માટે સાથી અને પ્રેરણાસ્ત્રોત સમાન હતું. રમત વેળા અનેક યુવાનો તેની ઘેરી છાયામાં બેસી આરામ કરતા, ચર્ચાઓ કરતા અને પ્રકૃતિનો આનંદ માણતા હતા. વર્ષોથી આ વૃક્ષ સ્થાનિક યુવાનોના જીવનનો અભિન્ન ભાગ બની ગયું હતું.વૃક્ષ ધરાશાયી થતાં પર્યાવરણપ્રેમી યુવાનોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી. યુવાનોનું કહેવું છે કે વૃક્ષો માત્ર ઓક્સિજનનો સ્ત્રોત નથી, પરંતુ શહેરની હરિયાળી, પર્યાવરણનું સંતુલન અને સામાજિક જીવન સાથે પણ ગાઢ રીતે જોડાયેલા છે. ઍક પરિપક્વ વૃક્ષનું નુકસાન વર્ષોની કુદરતી સંપત્તિ ગુમાવવા સમાન છે.ઘટના બાદ યુવાનોઍ આ સ્થળે ફરી આંબા સહિત અન્ય છાયાદાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
