આટિયાવાડ આંગણવાડીમાં બાળકોને રેઇનકોટનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 10 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૯ ઃ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રદેશ મંત્રી અને જાણીતા સમાજસેવિકા ઉર્વશીબેન જયેશભાઈ પટેલે આજે આંટિયાવાડ આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકો અને તેમના વાલીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આયુષ્માન આરોગ્ય મંદિર, આંટિયાવાડના તબીબી સ્ટાફના સહયોગથી બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તેમજ ચોમાસામાં ફેલાતા ડેંગૂ, મલેરિયા અને ટાઇફોઇડ જેવા રોગોથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉર્વશીબેન પટેલે વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન બાળકોના આરોગ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. આ પ્રસંગે ઉર્વશીબેન પટેલે આંગણવાડીના તમામ બાળકોને વરસાદી ઋતુમાં સુરક્ષા માટે રેઇનકોટનું વિતરણ કર્યું હતું. ઉપરાંત તેમણે આંગણવાડી સ્ટાફ સાથે ચર્ચા કરીને કેન્દ્રની વિવિધ જરૂરિયાતોની પણ માહિતી મેળવી હતી. બાળકોઍ આંગણવાડીમાં મળતી શિક્ષણ, પોષણ અને રમતાં-રમતાં શીખવાની પ્રવૃત્તિઓ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો, જ્યારે વાલીઓઍ ઉર્વશીબેન પટેલ દ્વારા આપવામાં આવેલી આરોગ્ય સંબંધિત સલાહોનું પાલન કરવાની ખાતરી આપી હતી.
