સોનવાડામાં ‘અનેરાધામ’ રેસિ. કેન્દ્રનું વાસ્તુપૂજન કરાયું
- byDamanganga Times
- 17 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ તાલુકા ના સોનવાડા ગામના ફકીરા ફળિયામાં ઓટિઝમ ધરાવતા પુખ્ત વયના પુરુષો માટે તૈયાર કરવામાં આવેલ વિશિષ્ટ રેસિડેનશિયલ કેન્દ્ર ‘અનેરાધામ’ નું વિધિવત્ વાસ્તુપૂજન કાર્યક્રમ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રસંગે ગામના અનેક આગેવાનો, સ્થાનિક નાગરિકો તેમજ અનેરાધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ લક્ષ્મણભાઈ ચૌહાણ, રોમેશ પાનવાલા, રોશન શાહ, નેહા કટારીયા, ડૉ. ધર્મેશ પારેખ અને ધર્મેશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્ના હતા. હરિધામ સોખડાથી શ્રી ભગવતપ્રિય સ્વામીજી તથા શ્રીજીવલ્લભ સ્વામીજી આ પ્રસંગે પધાર્યા હતા. માતૃશ્રી દેવીબેન કટારીયાના આશીર્વાદથી દીપકભાઈ અને હેમાબેન કટારીયા દ્વારા આ સુંદર અને સુવિધાસભર આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. ‘અનેરાધામ’માં ઓટિઝમ ધરાવતા પુખ્તવયના પુરુષોને રહેવા તથા જમવાની સુવિધા સાથે સંવેદનશીલ અને સુરક્ષિત વાતાવરણમાં જીવન જીવવાની તક મળશે. અહીં રહેનાર વ્યક્તિઓના આત્મવિશ્વાસમાં વધારો થાય તેમજ તેમની વ્યક્તિગત ક્ષમતાઓનો વિકાસ થાય તે માટે વિવિધ પ્રકારની સર્જનાત્મક, શૈક્ષણિક અને પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આ પહેલ દ્વારા ઓટિઝમ ધરાવતા પુખ્ત વયના પુરુષોને સ્વાભિમાન સાથે જીવન જીવવાની નવી દિશા મળશે.
